Articles Brampton Community Cultural Local Main Stories Ontario Toronto

ગીતાનો આધ્યાત્મિક સાર – સંકલન: મનોજભાઈ પટેલ

    દરેક માનવના ભૌતિક અને પ્રકાશમય શરીરને ચલાવનાર તો અપાર્થિવ, અશરીરી, નિરાકાર, અદૃશ્ય શક્તિ જ્યોતિર્બિન્દુ આત્મા છે, જે અજર, અમર, અવિનાશી છે. આત્માની જેમ જ પરમપિતા પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, જેને પ્રેમથી “બાબા” અર્થાત પરમપિતા કહેવામાં આવે છે, જેવો પરમધામમાં રહે છે, જ્ઞાન, શક્તિઓ અને ગુણોનાં સાગર છે, અને આ દુનિયામાં આવીને પોતાના દિવ્ય કર્તવ્ય – સ્થાપના, પાલના અને વિનાશ, ત્રિમૂર્તિ દ્વારા કરે છે. આથી રાજયોગ અર્થાત મનુષ્ય પોતાને આત્મા સમજીને, પરમાત્માના અખૂટ જ્ઞાન, અમાપ શક્તિઓ તેમજ દિવ્ય ગુણોનું અને માનવ સૃષ્ટિના ચક્રનું ચિંતન દૈનિક કાર્યમાં કરીને, પોતાની ઇન્દ્રિયોનો રાજા બનવાનો તેમ જ સ્વ-પરિવર્તનનો સતત અભ્યાસ. પરમપિતા પરમાત્માને પોતાનું શરીર નથી, આથી પરમાત્મા એક વૃદ્ધ મનુષ્ય શરીરનો આધાર લઈને તેના મુખ દ્વારા જ્ઞાન આપે છે અને તેવોની તમામ શક્તિનો અનુભવ કરાવે છે, જેને પ્રજાપિતા બ્રહ્મા, આદિ દેવ, આદમ, એડમ વગેરે નામથી વિવિધ ધર્મોમાં યાદ કરવામાં આવે છે.  

    પરમપિતા પરમાત્માએ માનવ શરીર દ્વારા જે જ્ઞાન કહ્યું કે ગાયું અને તેનું જે શાસ્ત્ર બનાવવામાં આવ્યું તે જ શ્રીમદ ભગવદ ગીતા છે. આથી ભારતનું સર્વ શ્રેષ્ઠ ધર્મ શાસ્ત્ર કે કર્મ શાસ્ત્ર શ્રીમદ ભગવત ગીતાને માનવામાં આવે છે. ગીતામાં તમામ ધર્મોનો સાર સમાવિષ્ટ છે અને અનેક મહાત્માઓએ પોતાનું જીવન તેના આધારથી મહાન બનાવેલ છે. આ મહાન ધર્મગ્રંથની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતના આદિ પર્વ ૭૭ માં શ્લોકમાં બહુ જ સ્પષ્ટ રીતે સ્વીકાર કરેલ છે કે જ્ઞાન તેવોને સમાધિ અવસ્થામાં મળેલ છે પરંતુ આ જ્ઞાનને ઉપસ્થિત કરવા માટે તેમના મનની કલ્પનાનો આધાર લીધેલ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલી મહાન છે કે એક જ ગ્રંથની અંદર વ્યક્તિના જીવનના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, વૈશ્વિક એમ દરેક પ્રકારના પ્રશ્નોના અને દરેક સ્તરના સમાધાન આપેલા છે.

      આજના માનવીને સમય પ્રમાણેપરમપિતા પરમાત્માનો સન્દેશ આપવા માટે દરેક પાત્રને પ્રતીકાત્મક રૂપે રજુ કરેલ છે અને જે યુધ્દ્દની વાત છે તે ભલાઈ અને ભ્રષ્ટતા વચ્ચેની છે, જેમાં પરમાત્મા દરેક માનવ આત્માના સારથી બનીને સર્વશક્તિમાનની સમજ અને શક્તિને આધારે વિજયી બનાવે છે. અધ્યાય એકમાં આજના માનવીની મનોદશા અને બીજા અધ્યાયમાં એકંદરે સંપૂર્ણ ગીતાનો સાર પ્રસ્તુત છે. અધ્યાય ત્રણથી આઠમા વિવિધ યોગ બાબતે સમજાવેલ છે.

      ભગવાન નવમાં અધ્યાયમાં અર્જુનને રાજવિદ્યા ગુહ્ય યોગ વિષે ઊંડું જ્ઞાન સમજાવે છે. ભગવાન તર્ક સહીત જ્ઞાન સમજાવે છે. ગીતાજ્ઞાન સર્વશ્રેષ્ઠ શિરોમણી છે. આ જ્ઞાન તમામ રહસ્યોનું પણ રહસ્ય છે અને રહસ્ય સ્પષ્ટ કરે છે. આ પવિત્ર જ્ઞાન છે જેનાથી આત્મા શુદ્ધ અને પવિત્ર બનવા લાગે છે. આપણે બધા જ્યારથી આ ગીતાજ્ઞાન વાંચી રહ્યા છીએ ત્યારથી આપણા વિચારો પણ શુદ્ધ થતા જાય છે. આ જ્ઞાન સ્નાનથી આત્માનું શુદ્ધિકરણ થાય છે. આ જ્ઞાનમાં ધારણાયુક્ત વાતોને સ્પષ્ટ કરવામાં આવે છે. આથી આ જ્ઞાન ધર્મનો પણ આદર્શ છે. આ વાતોને સમજીને પોતાના જીવનમાં આત્મસાત કરવાની છે, તેની ગતિ શ્રેષ્ઠ થાય છે. જીવનમાં રહેવા છતાં મુક્તિનો અનુભવ કરે છે.

      એક છે શરીરથી મુક્ત થઈને અનુભવ કરવો. બીજું છે શરીરમાં રહીને મુક્તિનો અનુભવ કરવો. આથી ગીતામાં કહ્યું છે કે મુક્તિથી પણ શ્રેષ્ઠ જીવન મુક્તિ છે અર્થાત જીવનમાં રહીને મુક્તિનો અનુભવ કરવો. આ જ્ઞાનના માધ્યમથી આત્મા પોતાના શુદ્ધ અને પવિત્ર સ્વરૂપમાં આવી જાય છે, જેનાથી પરમાનંદ અને મુક્તિનો અનુભવ થાય છે. આથી કહ્યું કે આ ધર્મનો આદર્શ અને સદા પ્રસન્નતાપૂર્વક ધારણ કરવાવાળું આ બહુ જ ઊંચું, શ્રેષ્ઠ, શિરોમણી જ્ઞાન છે. જ્ઞાનથી શ્રેષ્ઠ આ સંસારમાં બીજી કોઈ વસ્તુ નથી. એવું જ્ઞાન ભગવાન આપણને આપી રહ્યા છે.

      ત્યારબાદ ભગવાન સ્વયં કેવી રીતે કાર્ય કરે છે તેની કાર્યપ્રણાલી ચિત્રમાં દર્શાવ્યા મુજબ પ્રસ્તુત કરે છે. તેવો કહે છે કે, હું અવ્યક્ત સ્વરૂપ છું. મારી કાર્ય કરવાની પદ્ધતિ અલૌકિક છે. જેટલા પદાર્થની રચના કરવામાં આવી છે તે કોઈપણ મારામાં નથી. હું તમામ ચૈતન્ય પ્રાણીઓનો પાલનહાર છું. આ કર્મ મને બાંધી શકતું નથી કારણ કે મારી તેમાં કોઈપણ આસક્તિ નથી અને હું તટસ્થ અથવા નિરપેક્ષ છું. હું આ વિશાળ સૃષ્ટિ રંગમંચનો ભાગ નથી પરંતુ હું પોતે જ આખી સૃષ્ટિની રચનાનું ઉદગમ સ્થાન છું. હું પોતાની સર્વ શક્તિઓથી સંપૂર્ણ જગતનો રચતા છું. આ સંસાર સૃષ્ટિનું ચક્ર સદા ફરતું રહે છે.”

      તેવો અવ્યક્ત સ્વરૂપ છે અર્થાત કોઈ વ્યક્તિ જેવા નથી. આથી તેમની કાર્ય કરવાની પદ્ધતિ પણ કોઈ મનુષ્ય જેવી નથી એટલે કે અલૌકિક છે. તેવો આ સૃષ્ટિચક્રનો ભાગ નથી. પરમાત્મા બધા ચૈતન્ય પ્રાણીઓની પાલના કરે છે અર્થાત જ્ઞાનથી આપણી પાલના કરે છે. જેમ કે સૂર્ય આકાશમાં પોતાના સ્થાનેથી પોતાનો પ્રકાશ આપીને બધાને પોષણ આપે છે ને. આવી જ રીતે પરમાત્મા સર્વ શક્તિમાન છે આથી પોતાની શક્તિથી દરેકને પોષણ આપે છે અર્થાત શક્તિ આપે છે, આત્મામાં તાકાત ભરે છે, જેના માટે આપણી અંદર બેસવાની જરૂર નથી.

      ઘણા લોકો કહે છે કે ભગવાન આપણા હૃદયમાં છે. જેવી રીતે કોઈ કહે કે તેવોને કોઈ પ્રત્યે બહુ જ સ્નેહ છે તો તેવો કહેશે કે મારા દિલમાં છે. એનો અર્થ એવો નથી કે તે વ્યક્તિ તેના હૃદયમાં બેઠેલા છે. ભાવ એવો છે કે દિલમાં કે હૃદયમાં છે. અહીં દિલનો અર્થ હૃદય નથી કે જે શરીનો ભાગ અથવા અંગ છે પરંતુ દિલનો અર્થ બુદ્ધિ છે. આજે વૈદ્યકીય વિજ્ઞાન તો એક વ્યક્તિના હૃદયને બીજા વ્યક્તિમાં બદલી શકે છે જ્યારે બુદ્ધિ આત્માની શક્તિ હોવાથી અતિ સૂક્ષ્મ છે જેને જોઈ શકાય નહિ.

        માતાપિતા પોતાના બાળકોને બહુ જ પ્રેમ કરે છે તો બાળકો દૂર હોવા છતાં કહે છે કે, “તેવો તો મારા દિલમાં છે. આથી કોઈ શારીરિક વાત નથી પરંતુ તેવોની યાદ અથવા સ્મૃતિ હૃદયમાં સમાયેલી છે. આથી આત્માઓને જયારે પ્રભુ પ્રત્યે પ્રેમ હોય છે જેમ કે મીરાંબાઈને પ્રભુ પ્રત્યે પ્રેમ હતો તો કહ્યું કે તેવો ક્યાં નથી? જ્યાં જોઉં છું ત્યાં તેવો જ છે. દુનિયામાં પણ જયારે આશિક માશુકના પ્રેમમાં બીજી વ્યક્તિ જતો હોય તો પણ લાગે છે કે તે જ જાય છે. કારણ કે સ્નેહ હોય છે. આવી જ રીતે દુનિયામાં શિરોમણી ભક્તોને પણ પ્રભુ પ્રત્યે અગાધ પ્રેમ હોવાથી દરેકમાં તેમના દર્શન થતા હતા, પરંતુ દરેકમાં પરમાત્મા નથી.

        આ એક તેમનો ભાવ છે, વાસ્તવિકતા નથી. આથી હૃદયમાં નિવાસ કરવો અર્થાત તેવોની યાદ. આ પ્રેમનો ભાવ છે. હકીકતમાં દરેકના હૃદયમાં ભગવાન આવીને બેસી જાય તેવું હોતું નથી. આથી ભગવાને સ્પષ્ટ કરી દીધું કે તેવો અવ્યક્ત છે. તેવો પરમધામના રહેવાસી છે પરંતુ જયારે સમય થાય છે ત્યારે તેવો અવતાર ધારણ કરે છે. અર્થાત પરકાયા પ્રવેશ કરીને અવતરણ થાય છે. તેવો દરેકમાં બેઠેલ નથી આથી કહેવાય છે કે કરોડોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ તેમને ઓળખી શકે છે. તેવો આ સૃષ્ટિની રચનાના સ્ત્રોત જરૂર છે પરંતુ સૃષ્ટિ તેમનામાં નથી. તેવો આ જગતને પોતાની શક્તિથી રચે છે અને આ સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે. કેટલી અલૌકિક રીતે ભગવાન અર્જુનને તેમની કાર્ય-પ્રણાલી સમજાવવા માંગે છે.

        ત્યારબાદ ભગવાન આગળ સમજાવે છે કે, હે અર્જુન, કલ્પના અંતે તમામ મારી પ્રકૃતિ અર્થાત મારા સમાન સ્વભાવને પ્રાપ્ત કરે છે અને કલ્પની શરૂઆતમાં હું તેવોને વારંવાર વિશેષ રૂપમાં જાગૃત કરું છું.” જયારે આત્મા અજર, અમર, અવિનાશી છે તો જે વિશેષ અવિનાશી છે તેને વિશેષ રૂપમાં જાગૃત કરે છે અર્થાત દરેક આત્મામાં દૈવી સંસ્કારોને જાગૃત કરે છે. સતયુગી દુનિયામાં સૂર્ય વંશમાં જવા માટે માનવ આત્માઓને પ્રેરિત કરે છે. (ક્રમશઃ)

          Share with friends
          Total
          0
          Share