
ધ્વનિ ન્યુસ, ગ્વેલ્ફ, ઑન્ટારિઓ
નોર્થ યોર્ક: કેનેડામાં વસતા ગુજરાતી સમુદાય માટે ગૌરવ સમાન વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરોન્ટો અને નોર્થ યોર્ક ગુજરાતી કોમ્યુનિટી (NYGC) ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક વિશેષ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્કેમ અવેરનેસ સેમિનાર ફોર સિનિયર્સ” શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ડિજિટલ યુગમાં વધી રહેલા આર્થિક ગુનાઓ સામે વડીલોને સજ્જ અને સુરક્ષિત કરવાનો હતો.
આજના સમયમાં ટેકનોલોજી જેટલી આશીર્વાદરૂપ છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ રહી છે. ખાસ કરીને વડીલો, જેઓ ટેકનોલોજી સાથે નવા-સવા જોડાયા હોય છે, તેમને ઠગ ટોળકીઓ અવનવી યુક્તિઓ દ્વારા નિશાન બનાવતી હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પ્રગ્નેશ પટેલના નેતૃત્વમાં નોર્થ યોર્કના વડીલ સમુદાય માટે આ સશક્તિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન પ્રગ્નેશ પટેલે અત્યંત સરળ અને માતૃભાષામાં સમજાવ્યું કે કઈ રીતે ઠગો લોકોના વિશ્વાસ સાથે રમત રમે છે. તેમણે મુખ્યત્વે ચાર પ્રકારના સ્કેમ પર પ્રકાશ પાડ્યો હતો:




- ફોન સ્કેમ: સરકારી અધિકારી કે બેંક કર્મચારી હોવાનો ડોળ કરી માહિતી મેળવવી.
- ઈમેઈલ ફ્રોડ (ફિશિંગ): લોભામણી લિંક્સ દ્વારા પર્સનલ ડેટા ચોરવો.
- બેંકિંગ ફ્રોડ: ખાતાની વિગતો કે OTP મેળવી આર્થિક નુકસાન પહોંચાડવું.
- ઓનલાઈન શોપિંગ ઠગાઈ: સોશિયલ મીડિયા પર ફેક જાહેરાતો દ્વારા છેતરપિંડી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વડીલોએ માત્ર શ્રોતા બનીને જ નહીં, પણ સક્રિય સહભાગી બનીને પોતાના અનુભવો પણ વહેંચ્યા હતા. ઘણા વડીલોએ જણાવ્યું કે અજાણ્યા નંબર પરથી આવતા ફોન કોલ્સ કે મેસેજ તેમને ઘણીવાર મૂંઝવણમાં મૂકી દેતા હોય છે. આ સેમિનાર દ્વારા તેમને સમજાયું કે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે ‘સેન્સિટિવ’ માહિતી શેર ન કરવી એ જ બચાવનો શ્રેષ્ઠ રસ્તો છે.
ઉપસ્થિત વડીલોએ આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, “આ પ્રકારની માહિતી અમને રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસ આપે છે. પરદેશમાં જ્યારે સંતાનો કામ પર હોય ત્યારે આવા જ્ઞાનથી અમે અમારી જાતને સુરક્ષિત અનુભવી શકીએ છીએ.”
વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો અને પ્રમુખ ધવલ સોનીએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. તેમણે નોર્થ યોર્ક ગુજરાતી કોમ્યુનિટી ગ્રુપના પ્રમુખ અને ‘ગુજરાતનો રણકાર’ના મુખ્ય સંપાદક પ્રજ્ઞેશ પટેલની આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું કે, “મંદિર માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ સામાજિક જાગૃતિનું કેન્દ્ર પણ છે. વડીલોની સુરક્ષા એ આપણી નૈતિક જવાબદારી છે અને અમે ભવિષ્યમાં પણ આવા લોકઉપયોગી કાર્યક્રમો માટે સહયોગ આપતા રહીશું.”
સેમિનારના અંતે ‘જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા’ છે. NYGC ગ્રુપ અને સ્વામિનારાયણ મંદિરના આ સમન્વયથી નોર્થ યોર્કમાં વસતા ગુજરાતી વડીલોને એક સુરક્ષિત માર્ગદર્શન મળ્યું છે. આ કાર્યક્રમ માત્ર માહિતી આપવા પૂરતો મર્યાદિત ન રહેતા, એક સશક્તિકરણનું માધ્યમ બન્યો હતો.
આગામી સમયમાં પણ ટોરોન્ટોના અન્ય વિસ્તારોમાં આ પ્રકારના સેમિનાર યોજાય તેવી વડીલોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સુચારૂ રીતે સંપન્ન થયું હતું, જેણે ઈન્ડો-કેનેડિયન સમુદાયમાં એક સકારાત્મક સંદેશ વહેતો કર્યો છે.




