
ધ્વનિ – વિશેષ
હિન્દુ ફેડરેશન અને રામમંદિર દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં કેનેડાના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ; ૧૯૭૨ નાયુગાન્ડા દેશનિકાલ ની હૃદયદ્રાવક યાદો સાથે રમેશભાઈની પ્રેરણાદાયી સફરનું સન્માન
વિશેષ અહેવાલ: હશુ બિહારી સથાનકીયા તસવીરો: અલોકિક નાયક
મિસિસાગા: કેનેડાના સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક જગતમાં જેમના નામનો ડંકો વાગે છે તેવા અગ્રણી ઉદ્યોગપતિ અને માનવતાવાદી નેતા શ્રી રમેશભાઈ ચોટાઈની કેનેડામાં યુગાન્ડાના નવા કોન્સ્યુલેટ જનરલ તરીકે વરણી કરવામાં આવી છે. આ માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર કેનેડિયન-એશિયન સમુદાય માટે ગૌરવની ક્ષણ છે. આ ઐતિહાસિક સિદ્ધિને વધાવવા માટે મિસિસાગાના પ્રખ્યાત રામ મંદિર (rammandir.ca) ખાતે હિન્દુ ફેડરેશનના વિશેષ સહયોગથી એક અત્યંત પ્રભાવશાળી અને ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૧૨ એપ્રિલના રોજ યોજાયેલો આ કાર્યક્રમ વર્ષો સુધી સમુદાયના માનસપટ પર અંકિત રહેશે.
ગૌરવ વંતા અતિથિઓની માવજત અને મંગલપ્રારંભ
કાર્યક્રમની ગરિમાની સાક્ષી પૂરવા માટે કેનેડાના અનેક રાજકીય માંધાતાઓ અને સામાજિક અગ્રણીઓ એક મંચ પર એકઠા થયા હતા. આ ગૌરવશાળી પ્રસંગે હિન્દુ ફેડરેશનના પ્રમુખ પંડિત રૂપનાથ શર્મા, મિસિસાગાના મેયર કેરોલિન પેરિશ, બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન, મિસિસાગા-માલ્ટનના લોકપ્રિય એમ.પી.પી. દીપક આનંદ, કાઉન્સિલર (વોર્ડ-૭) દીપિકા ડામરલા, અને સી.આઈ.એફ. (CIF) ના સભ્ય પંકજ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાપ્સ (BAPS) સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ સચદેવ, શ્રી સુબોધભાઈ કાનાણી, અરુણભાઈ રાજા અને કાંતિભાઈ રાજા જેવા સમુદાયના અગ્રણીઓએ હાજરી આપી રમેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત અત્યંત શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. કુશળ સંચાલક (MC) ખુશી ધીરનીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રામ મંદિરના વિદ્વાન પંડિતોએ મંત્રોચ્ચાર અને પવિત્ર શ્લોકોના ગાન સાથે દીપ પ્રાગટ્ય કરી વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દીધું હતું. કેનેડા અને યુગાન્ડા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીક રૂપે બંને દેશોના રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રગીતોમાં શ્રીમતી ઈન્દિરાબેન સૌમયા, સરોજબેન રાચ, હશુબેન સથાનકીયા અને કિરીટભાઈ શવજાણીએ પોતાના મધુર કંઠ આપ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડૉ. અંજુલબેન શર્મા (કથક નૃત્ય નિષ્ણાત) ની ત્રણ તેજસ્વી વિદ્યાર્થિનીઓએ ભગવાન શ્રી ગણેશની સ્તુતિ પર નૃત્ય રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઇતિહાસના પાના અને ૧૯૭૨નો એ કાળો સમય
સમારોહના મુખ્ય આકર્ષણ એવા શ્રી રમેશભાઈ ચોટાઈએ જ્યારે મંચ પરથી સંબોધન શરૂ કર્યું, ત્યારે આખું સદન શાંત થઈ ગયું હતું. તેમણે પોતાના જીવનના સૌથી કપરા અને સંઘર્ષમય પ્રકરણોને લોકો સમક્ષ રજૂ કર્યા. રમેશભાઈએ ઓક્ટોબર ૧૯૭૨ના એ ભયાનક દિવસોને યાદ કર્યા, જ્યારે યુગાન્ડાના સૈનિક સરમુખત્યાર ઈદી અમીનનું શાસન હતું. ઈદી અમીને એક અતાર્કિક સ્વપ્ન અને દ્વેષપૂર્ણ માનસિકતા હેઠળ એવો દાવો કર્યો હતો કે યુગાન્ડામાં વસતા એશિયનો દેશની સંપત્તિ લૂંટીને વિદેશ મોકલે છે.
પરિણામે, તેણે યુગાન્ડાના વતની ગણાતા અને એશિયન મૂળના તમામ લોકો માટે ૯૦ દિવસની અંદર દેશ છોડવાનો ક્રૂર આદેશ જારી કર્યો. આ આદેશ એટલો કઠોર હતો કે લોકોને પોતાની આજીવનની કમાણી, મકાન અને વ્યાપાર બધું જ છોડી દેવું પડ્યું. એશિયનોને માત્ર ૬૦ રતલની એક સુટકેસ સાથે લઈ જવાની છૂટ હતી. મિલિટરીના સૈનિકો અને સ્થાનિક અસામાજિક તત્વોએ આ તકનો લાભ ઉઠાવીને એશિયન પરિવારો પર અત્યાચારો કર્યા. કુંવારી છોકરીઓના અપહરણ અને બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ આચરી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા.













શૂન્ય માંથી સર્જન: જેલ થી કેનેડા સુધી ની મજલ
રમેશભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે તેઓ યુગાન્ડામાં એક પ્રતિષ્ઠિત વ્યાપારી હતા, પરંતુ મિલિટરીના સૈનિકોએ તેમને પકડી લીધા હતા. તેમને યુગાન્ડાના પાટનગર કંપાલાના રસ્તાઓ પર અન્યાયી રીતે ચલાવવામાં આવ્યા અને જેલમાં ધકેલી દેવાયા. જોકે, નસીબ જોગે જેલરને નાણાં આપીને તેઓ છૂટવામાં સફળ રહ્યા. કેનેડિયન એમ્બેસીની ત્વરિત મદદથી તેઓ ૨૪ કલાકની અંદર યુગાન્ડા છોડી કેનેડા આવવા રવાના થયા.
રમેશભાઈએ યાદ કર્યું કે જ્યારે તેઓ મોન્ટ્રિયલ ઉતર્યા ત્યારે વાતાવરણ અત્યંત ઠંડું હતું અને તેમની પાસે પૂરતા ગરમ કપડાં પણ નહોતા. તેમની પાસે ખિસ્સામાં એક ફૂટી પાઈ પણ નહોતી. એ સમયે એક દયાળુ ઓફિસરે તેમને પોતાનો વિન્ટર કોટ આપ્યો હતો. એ શરણાર્થીની સ્થિતિમાંથી આજે તેઓ જે મુકામ પર પહોંચ્યા છે તે કોઈ ચમત્કારથી ઓછું નથી. કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ પિયર ટ્રુડો અને ઈસ્માઈલી નેતા આગાખાનની મિત્રતાને કારણે ૬૦૦૦ એશિયન શરણાર્થીઓને કેનેડાના વિઝા મળ્યા હતા, જેમાં રમેશભાઈ પણ એક હતા. પિયર ટ્રુડોએ તેમનું સ્વાગત કરતા જે શબ્દો કહ્યા હતા – “You are our future” – તે આજે રમેશભાઈએ સાર્થક કરી બતાવ્યા છે.
વ્યાપારિક સફળતા અને સામાજિક સેવા
કેનેડામાં આવીને રમેશભાઈએ ઓશાવાની એક ફાર્મસીમાં સામાન્ય ફાર્માસિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. પોતાની અથાક મહેનત, અજોડ આત્મવિશ્વાસ અને ફાર્માસ્યુટિકલ ટેકનોલોજીના ઊંડા જ્ઞાનના જોરે તેમણે ‘બ્રોમેડ ફાર્માસ્યુટિકલ્સ’ (Bromed Pharmaceuticals) નામની અગ્રણી કંપનીની સ્થાપના કરી. આજે આ કંપની મલ્ટી-મિલિયન ડોલરનું ટર્નઓવર ધરાવે છે અને સેંકડો લોકોને રોજગારી પૂરી પાડે છે.
વ્યાપારી સફળતાની સાથે સાથે રમેશભાઈએ સમુદાય સેવામાં ક્યારેય પાછીપાની કરી નથી. તેઓ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રના ભૂતપૂર્વ પ્રમુખ, કેનેડિયન મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિવિલાઇઝેશનના ઉપાધ્યક્ષ, વ્રજ કેનેડા કોમ્યુનિટી સેન્ટરના પ્રમુખ અને ‘કેનેડા સર્વ્સ’ ના પ્રમુખ તરીકે મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ ઓન્ટારિયો સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
સમુદાયના હિતમાં નવો અધ્યાય
મેયર કેરોલિન પેરિશ અને પેટ્રિક બ્રાઉને રમેશભાઈને યુગાન્ડાના કોન્સ્યુલેટ જનરલ તરીકેની નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે રમેશભાઈની વરણીથી કેનેડા અને યુગાન્ડા વચ્ચેના વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાશે. રમેશભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, “શરણાર્થી (Refugee) શબ્દ ઘણીવાર નકારાત્મક રીતે જોવામાં આવે છે, પરંતુ મેં એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે જો તમારી પાસે દ્રઢ નિશ્ચય હોય, તો તમે કોઈ પણ દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપી શકો છો.”
તેમણે ભાવુક થઈને સ્વીકાર્યું કે આ લાંબી અને મુશ્કેલ સફરમાં તેમના પત્ની ક્રિષ્નાબેન અને સમગ્ર પરિવારનો સાથ ન હોત તો તેઓ આ મુકામ પર ન પહોંચી શક્યા હોત. રમેશભાઈએ આ ગૌરવશાળી પદ મળવા બદલ સૌનો આભાર માન્યો અને બંને દેશોના હિતમાં કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી. તેમના કોટ પર લગાવેલા કેનેડા અને ભારતના બેજ તેમના બંને સંસ્કૃતિઓ પ્રત્યેના પ્રેમને દર્શાવતા હતા.
રામ મંદિરના બેન્કવેટ હોલની સુંદરતા અને આયોજનની ચોકસાઈથી મહેમાનો પ્રભાવિત થયા હતા. દરેક વ્યક્તિએ સ્વાદિષ્ટ ભોજન અને ઉષ્માભર્યા આતિથ્યનો આનંદ માણ્યો હતો. હિન્દુ ફેડરેશનના પ્રમુખ પંડિત રૂપનાથ શર્માએ રમેશભાઈના વ્યક્તિત્વને બિરદાવતા કહ્યું કે તેઓ સાચા અર્થમાં ‘ગુડ લક’ (સૌભાગ્ય) સમાન છે. કાર્યક્રમની સફળતા પાછળ મંદિરના સમર્પિત સ્ટાફ અને અસંખ્ય વોલન્ટીયર્સની મહેનત રહેલી છે.
આ કાર્યક્રમ કેનેડિયન શરણાર્થીઓના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે લખવામાં આવશે. રમેશભાઈ ચોટાઈનું જીવન એ વાતનો પુરાવો છે કે સંઘર્ષના વાદળો ગમે તેટલા ઘેરા હોય, મહેનતનો સૂરજ હંમેશા પ્રકાશ ફેલાવે છે.




