, ,

વડોદરા બોટ દુર્ઘટના મામલે SIT ની રચનાઃ ACP ક્રાઇમ કરશે તપાસ

Posted by

    વડોદરા (Gujarat, ઇન્ડિયા) બોટ દુર્ઘટના: હરણી તળાવ, વડોદરા, માંથી બોટ બહાર કાઢતી ક્રેઈન, ૧૮ વ્યક્તિ સામે FIR નોંધાઈ, શિક્ષક કે વિદ્યાર્થી ઓ માંથી કોઈએ લાઈફ જેકેટ પહેર્યા નહતા.

    વડોદારામાં સર્જાયેલી અત્યંત કરૂણ બોટ પલટી જતા બાળકો-શિક્ષકોના મૃત્યુંની ઘટનામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે. ઉચ્ચસ્તરીય તપાસ થનાર હોવા છતાં દોષિતોને બક્ષવા ન જોઇએ તેવો મત શહેરવાસીઓમાં પ્રવર્તી રહ્યો છે.

    વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાની કરૂણાંતિકા બાદ જવાબદારો સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે સાપરાધ સહિત અન્ય કલમો હેઠળ 18 ગુનેગારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હચમચાવી નાખનાર ઘટનાની તટસ્ત તપાસ થાય તે માટે SITની રચના કરવામાં આવી છે. જેની તપાસ એ.સી.પી ક્રાઇમને સોંપવામાં આવી છે.

    હરણી લેકઝોનમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોતને પગલે સમગ્ર ઘટનાની તટસ્ત અને સચોટ તપાસ થાય તે માટે અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષ સ્થાને ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુપરવિઝન અધિકારી તરીકે ડી.સી.પી ઝોન-4 પન્ના મોમાયા, ડી.સી.પી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા, તપાસ અધિકારી એ.સી.પી ક્રાઇમ એચ.એ. રાઠોડ, સભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી ટંડેલ, એમ.એફ. ચોધરી અને પી.એમ દાકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    આ સાથે વડોદારા હરણી લેકઝોનની તમામ એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે. ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો આ તેની સામે કાર્યવાહી કરાશે

    ફન ટાઇમ અરેના હરણીના પ્રવાસપેટે ન્યૂ સનરાઇઝ સ્કૂલે બાળક દીઠ રૂ. 750 વસુલ્યા

    વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટના બાદ એક પછી એક ખુલાસાઓ સામે  આવી રહ્યાં છે. હવે જાણવા મળ્યું છે કે, વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકો પ્રવાસમાં માટે હરણી મોટનાથ તળાવ સ્થિત ફન ટાઇન અરેના ખાતે લઇ જવાશે તેવું ત્રીજી જાન્યુઆરીના સ્કૂલ સત્તાધીશો દ્વારા એક સરક્યુલરમાં જણાવાયું હતું અને બાળકદીઠ રૂ.750 ભરવાનું પણ તેમાં કહેવામાં આવ્યું હતું.

    ન્યૂ સનરાઇઝ સ્કૂલ દ્વારા ગત તા. 3 જાન્યુઆરી 2024ના રોજ સ્કૂલના બાળકોને પ્રવાસ લઇ જવા બાબતે એક સરક્યુલર બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતુ કે, વાલી શ્રી, અંગ્રેજી પ્રાથમિક વિભાગ પ્રવાસ ગુરૂવાર તા. 18-01-2024 ના રોજ ફન ટાઇમ અરેના હરણી રાખવામાં આવ્યો છે. જે વાલીશ્રી પોતાના બાળકને પ્રવાસ મોકલવા માગતા હોય તે વિદ્યાર્થીઓની પ્રવાસ ફી રૂ. 750 રાખવામાં આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટ ફી, ફન ટાઇમ અરેના પ્રવેશ ફી, એમ્યુઝમેન્ટ પાર્ક તથા ફન-વર્લ્ડ રાઇડ, વોટર પાર્ક રાઇડ, બોટિંગ, સવારનો નાસ્તો, બપોરનું ભોજન તથા સાંજે આઇસ્ક્રીમનો સમાવશે છે.

    જે વાલીશ્રી પોતાના બાળકને પ્રવાસ મોકવા માગતા હોય તેવા વાલીશ્રી પ્રવાસ સંમતિ ફોર્મ ભરી સહી કરી પ્રવેશ ફી સાતે જમા કરવું. પ્રવાસ સંમતિ ફોર્મ અને પ્રવાસ ફી વિદ્યાર્થીના શાળા સમય પછી અડધા કલાક સુધી વર્ગ શિક્ષકને જમા કરવાની રહેશે, તા. 16-01-2024 સુધી વહેલા તે પહેલાના ધોરણે પ્રવાસ ફી લેવામાં આવશે.

    વડોદરા બોટ દુર્ઘટના:ગુનેગાર બચશે નહીં – પો. કમિ. અનુપમસિંહ ગહલૌત

    વડોદરા શહેરના હરણી લેકઝોનમાં બોટ પલટી જવાની દુર્ઘટનામાં પોલીસે કડક વલણ અપનાવી કૂલ 18 લોકો સામે સાપરાધનો ગુનો નોંધી 6ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું હતુ કે, આ ગુનામાં સંડોવાયેલા મેસર્સ કોટીયા પ્રોજેક્ટસના સંસાચલો, ભાગીદારો, ડાયરેકટર, ઓપરેટરો મળી કૂલ 18 સામે ઇપીકો કલમ 304,308,337,338,114 મુજબ ગુનોં નોંઘવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 6ની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવમાં આવી છે.

    તેઓએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ બનાવ સ્થળે પંચનામુ કરી એફ.એસ.એલ દ્વારા ગુનાવાળી જગ્યાની તપાસણી કરવામાં આવશે. આ દુર્ઘટનામાં કૂલ 12 બાળકોના મોત નિપજ્યાં છે. જેમાં 9 બાળકોની અંતિમક્રિયા કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ બાળકોના પરિવારજનો બહારગામ હોવાથી મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે.

    આ બનાવને અમે ખુબજ ગંભીરતાથી પોલીસ તરફથી કોઇ પણ પ્રકારની કચાસ રાખવામાં નહીં આવે, પોલીસ કોઇ પણ પ્રકારે કોઇ દબાવમાં કામ નહીં કરે, ના તપાસમાં કોઇ કચાસ રાખવામાં આવશે, નાતો કોઇ ગુનેગાર બચી શકશે નહીં. એફ.આઇ.આરમાં નોંધાયેલા નામો સિવાય તપાસમાં અન્ય નામો પણ ખુલશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    હરણી દુર્ઘટના બાદ કોઠીયા પ્રોજેક્ટસ અને તેના ભાગીદારો પર હવે સૌ કોઇની નજર છે. ત્યારે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોટીયા પ્રોજેક્ટ્સના મુખ્ય ભેજાબાજો ધર્મિલ શાહ અને વત્સલ શાહ છે. જેઓના અન્ય ભાગીદારોએ તમામ મહત્વની જવાબદારીઓ સોંપી છે. આ ઉપરાંત બેન્ક તથા નાણાકીય વ્યવહારની સત્તા પણ આ બન્ને પાસે છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે, આ બન્ને દ્વારા હરણી લેકઝોનનુ કામ અન્ય વ્યક્તિને પેટામાં કામ આપ્યું હશે, જેની તપાસ પોલીસે શરૂ કરી છે.

    પોલીસ જે 18 સામે ગુનો નોંધ્યો તેમાંથી એક મૃત્યુ પામેલો

    હરણી તળાવ ખાતે લેકઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકા મળી કૂલ 14 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે પોલીસે આ મેમલ કૂલ 18 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાં સામેલ હિતેષ કોટીયા તો અંદાજીત બે વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યા છે.

    એડવોકેટ હીતેષ ગુપ્તાએ આ બાબતે જણાવ્યું હતુ કે, હ્રદય કમપાવી નાખનાર આ ઘટનાને જોતા તમામ વકીલો આજે એકત્ર થયા હતા અને નિર્ણય લીધો હતો કે, આ માનવવદની પાછળ કોઇ પણ હશે, વડોદરાના એક પણ વકીલો હાજર નહીં રહે.

    Share with friends
    Total
    0
    Share