એફિલ ટાવર વિવાદથી BAPS ની ધાર્મિક પરંપરાઓ વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં

ધ્વની ઓનલાઈન ન્યૂઝ | : હિન્દુ સંતો દ્વારા સદીઓથી પાળવામાં આવતી એક પરંપરાગત ધાર્મિક મર્યાદા અને નિયમ તાજેતરમાં પેરિસના વિશ્વવિખ્યાત એફિલ ટાવર ખાતે એક મોટા આંતરરાષ્ટ્રીય વિવાદનું કારણ બની છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના એક પ્રતિનિધિ મંડળની એફિલ ટાવરની મુલાકાત બાદ કર્મચારીઓના વિરોધ, સ્મારકને અસ્થાયી રૂપે બંધ કરવા અને ફ્રેન્ચ સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર તપાસના આદેશો છૂટતા આ મુદ્દો વૈશ્વિક સ્તરે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત શનિવાર, ૫ સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જ્યારે BAPS સાથે જોડાયેલા આશરે ૧૦૦ સભ્યોના એક ડેલિગેશને એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. ટાવરના એમ્પ્લોયી યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, સ્વામિનારાયણ સંતો અને પ્રતિનિધિ મંડળની અવરજવર દરમિયાન કેટલાક વર્કિંગ સ્ટેશનો પરથી મહિલા કર્મચારીઓને હટી જવાની વિનંતી કરવામાં આવી હતી અને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓને ડ્યુટી પર ગોઠવવામાં આવ્યા હતા. યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડાવોઇને દાવો કર્યો હતો કે આ ઘટનાથી મહિલા સ્ટાફમાં ભારે અસંતોષ અને અપમાનની લાગણી જન્મી હતી. શનિવારે સર્જાયેલો આ વિવાદ વીકેન્ડ દરમિયાન વધુ ઉગ્ર બન્યો હતો. પરિણામે સોમવારે એફિલ ટાવરના કર્મચારીઓએ હડતાળ (Strike) પાડી દીધી હતી અને ટાવરનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ કરી દીધું હતું. કર્મચારીઓએ ભવિષ્યમાં મહિલા સ્ટાફ સાથે ફરી ક્યારેય આવો વ્યવહાર ન થાય તેવી લેખિત ખાતરીની માંગ કરી હતી, જેના પગલે પેરિસ સત્તાવાળાઓએ તાત્કાલિક તપાસની જાહેરાત કરવી પડી હતી.
આ સમગ્ર ચર્ચાના મૂળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા પાળવામાં આવતું સેંકડો વર્ષ જૂનું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત અને ધાર્મિક શિસ્ત છે. BAPS ના સાધુઓ આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લે છે, જેમાં સ્ત્રીઓ સાથેના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંપર્કથી દૂર રહેવાના કડક નિયમો શામેલ હોય છે. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે આ ધાર્મિક નિયમો માત્ર ત્યાગી સાધુઓને જ લાગુ પડે છે, સામાન્ય હરિભક્તો કે ગૃહસ્થો માટે આ કડક મર્યાદા હોતી નથી. આ અંગે વાત કરતા જાણીતા ધાર્મિક વિદ્વાન યોગી ત્રિવેદીએ જાણીતા સમાચાર પત્ર ને જણાવ્યું હતું કે, આ પ્રકારની ધાર્મિક મર્યાદાઓ એ સાધુની પોતાની અંગત આધ્યાત્મિક સાધનાનો એક ભાગ છે અને તેનો હેતુ ક્યારેય સમાજના અન્ય લોકો પર પોતાનો નિયમ લાદવાનો કે અન્યને મુશ્કેલીમાં મૂકવાનો હોતો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે BAPS સંસ્થાના વૈશ્વિક સત્સંગ પરિવારમાં અડધાથી વધુ સંખ્યા મહિલા ભક્તોની છે, જે દર્શાવે છે કે સંસ્થામાં સ્ત્રીઓ પ્રત્યે હંમેશાં આદર રહ્યો છે.
બીજી તરફ, એફિલ ટાવરનું સંચાલન કરતી સોસાયટી ડી’એક્સપ્લોઇટેશન ડી લા ટૂર એફિલ (SETE) એ સ્વીકાર્યું હતું કે પ્રતિનિધિ મંડળે મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓ સાથેનો સંપર્ક મર્યાદિત રાખવાની વિનંતી કરી હતી. જોકે, સંચાલક મંડળે પાછળથી કબૂલાત કરી હતી કે સાર્વજનિક સ્મારક પર આવી શરતો સ્વીકારવી જોઈતી નહોતી. હવે આ વિવાદમાં મુખ્ય પ્રશ્ન એ ઊભો થયો છે કે શું કોઈ વ્યક્તિ કે સંસ્થાની અંગત ધાર્મિક આસ્થા કે મર્યાદાને માન આપવા માટે જાહેર ક્ષેત્રમાં કામ કરતા અન્ય લોકો, ખાસ કરીને સરકારી કે સાર્વજનિક સ્થળોના કર્મચારીઓની કામગીરીની પરિસ્થિતિઓમાં ફેરફાર કરી શકાય?
આ સમગ્ર પરિસ્થિતિ અંગે BAPS સંસ્થા દ્વારા ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાત સામાન્ય પ્રવાસન સમયની શરૂઆતમાં એફિલ ટાવરની મેનેજમેન્ટ ટીમ સાથે પૂર્વ-કોઓર્ડિનેશન કરીને ગોઠવવામાં આવી હતી જેથી સામાન્ય જનતાને કોઈ ખલેલ ન પહોંચે. સંસ્થાના જણાવ્યા મુજબ, તેમના જાણ મુજબ કોઈ પણ પ્રવાસીને સ્મારકની મુલાકાત લેતા રોકવામાં આવ્યા નહોતા. સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધુઓની ધાર્મિક શિસ્તનો હેતુ ક્યારેય સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ કરવાનો નથી. તેમ છતાં, જો આ ઘટનાથી કોઈની પણ લાગણી દુભાઈ હોય કે કોઈને અગવડ પડી હોય, તો સંસ્થાએ તે બદલ નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરી છે.
ફ્રેન્ચ રાજકીય નેતાઓ અને સત્તાવાળાઓએ આ મુદ્દે જેન્ડર ઇક્વાલિટી (જાતિ સમાનતા) અંગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પેરિસના વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પુરૂષ અને સ્ત્રી વચ્ચેની સમાનતા એ ફ્રાન્સની સંસ્કૃતિનો મુખ્ય આધારસ્તંભ છે અને તે શહેરની તમામ સંસ્થાઓ અને ઐતિહાસિક સ્મારકો પર સમાન રીતે લાગુ પડે છે. જે દેશમાં બિનસાંપ્રદાયિકતા (Secularism) અને સ્ત્રી-પુરુષ સમાનતા મૂલ્યોમાં વણાયેલા હોય, ત્યાં આ ઘટનાએ એક મોટો જાહેર વિવાદ ઊભો કર્યો છે.
આ વિવાદ જે સમયે સામે આવ્યો તે સમય પણ BAPS માટે ખૂબ મહત્વનો હતો. એફિલ ટાવરની મુલાકાતના બીજા જ દિવસે, BAPS દ્વારા પેરિસમાં ફ્રાન્સના પ્રથમ વિશાળ અને પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપીને આ નવા મંદિરને ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું એક નવું શિખર ગણાવ્યું હતું. આ મંદિરના ઉદ્ઘાટન પહેલા પેરિસમાં એફિલ ટાવરના બેકડ્રોપ સાથે ત્રણ કલાક લાંબી ભવ્ય સાંસ્કૃતિક શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ૪૨ દેશોના લગભગ ૬,૦૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કેનેડા અને વિશ્વભરમાં વસતા ગુજરાતી ડાયસ્પોરા માટે BAPS એક અત્યંત જાણીતી અને આદરણીય સંસ્થા છે. તેની સ્થાપનાના મૂળ ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ (સહજાનંદ સ્વામી) દ્વારા શરૂ કરવામાં આવેલી પરંપરા સાથે જોડાયેલા છે. ૨૦મી સદીની શરૂઆતમાં શાસ્ત્રીજી મહારાજ દ્વારા BAPS ની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતથી શરૂ થયેલી આ સંસ્થાનો વ્યાપ ગુજરાતીઓના ઇસ્ટ આફ્રિકા, બ્રિટન, નોર્થ અમેરિકા (કેનેડા અને યુએસએ) માં થયેલા સ્થળાંતરની સાથે વૈશ્વિક સ્તરે વધ્યો. આજે BAPS વિશ્વભરમાં ૧,૩૦૦થી વધુ મંદિરો, હજારો બાલ-યુવક કેન્દ્રો અને લાખો હરિભક્તોનું નેટવર્ક ધરાવે છે. ભારતમાં ગાંધીનગર અને દિલ્હીના અક્ષરધામ, અબુધાબીનું હિન્દુ મંદિર અને ન્યુ જર્સીનું રોબિન્સવિલ અક્ષરધામ સંસ્થાના ભવ્ય નિર્માણના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. આ ઉપરાંત, ૨૦૦૧ના ગુજરાત ભૂકંપ જેવી આપત્તિઓ સમયે સંસ્થાની માનવતાવાદી સેવાઓ અને વોલન્ટિયર વર્ક માટે તેને વૈશ્વિક સ્તરે બિરદાવવામાં આવી છે.
આથી, પેરિસની આ ઘટના માત્ર BAPS પૂરતી સીમિત ન રહેતા એક જટિલ વૈશ્વિક ચર્ચા બની ગઈ છે. લોકશાહી દેશોમાં ધાર્મિક સ્વતંત્રતા (Religious Freedom) એક મહત્વનો અધિકાર છે, પરંતુ તેની સાથે કામના સ્થળે સમાનતા અને કર્મચારીઓનો અધિકાર પણ એટલો જ સમાન મહત્વ ધરાવે છે. ફ્રેન્ચ વહીવટીતંત્રની તપાસ બાદ જ ખબર પડશે કે એફિલ ટાવર ખાતે આ ગોઠવણ કોના દ્વારા અને કેવી રીતે કરવામાં આવી હતી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સાધુઓના અંગત વ્રતને સન્માન આપવાના પ્રયાસે આજે એક પ્રાચીન ધાર્મિક પરંપરા અને આધુનિક જાહેર જીવનમાં ધાર્મિક છૂટછાટોની સીમાઓ અંગેની ચર્ચાને વૈશ્વિક લાઇમલાઇટમાં લાવી મૂકી છે.
વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ તથા સત્તાવાર ક્ષેત્રે ઉપસી રહેલી લેટેસ્ટ માહિતીને આધારે ‘ધ્વની ઓનલાઈન ન્યૂઝ’ (Dhwani Online News) લખવામાં આવ્યા છે , આ સમગ્ર ઘટનાક્રમ અને તેની તમામ નવી અપડેટ્સ પર સતત નજર રાખી રહ્યું છે. પેરિસ સ્થિત ફ્રેન્ચ સત્તાવાળાઓ, એફિલ ટાવર મેનેજમેન્ટ અને સંસ્થા વચ્ચે ચાલતી આ તપાસમાં આવનારા દરેક નવા વળાંક અને ઘટનાક્રમથી અમારા કેનેડા સ્થિત ઇન્ડો-કેનેડિયન વાંચકોને સમયસર અને સચોટ માહિતીથી માહિતગાર રાખવા માટે ‘ધ્વની ન્યૂઝ’ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

