હેપ્પી બર્થ ડે અમદાવાદ / અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા

ઐતિહાસિક અને અદ્યતનના સુભગ સમન્વય સમાન અમદાવાદ શહેરને આજે 613 વર્ષ પૂરા થયા છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુર્જ પાસે એમદાવાદની સ્થાપના કરી હતી. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબ્દીલ થયું છે. 

અમદાવાદ આ માત્ર 5 અક્ષરનો શબ્દ નથી, માત્ર શહેર નથી, અમદાવાદ એક લાગણી છે, અનુભૂતિ છે, અમદાવાદ એક મિજાજ છે. અમદાવાદના કોમી રમખાણોની વાતો થાય છે, પરંતુ તેની વસંત-રજબ જેવી કોમી એક્તાની વાત ભાગ્યે જ થાય છે. અમદાવાદીઓ કરસકસરિયા છે, તેના મેણા મરાય છે, પરંતુ કુદરતી આફતો વખતે અમદાવાદીઓએ તિજોરી ખોલીને આપેલા દાન કોઈને યાદ આવતા નથી, અમદાવાદના વિકાસ માટે શેઠિયાઓએ આપેલા દાન યાદ આવતા નથી. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ વિશે અમે તમને આવી જ કેટલીક રસપ્રદ વાતો કરવા જઈ રહ્યા છીએ.

અમદાવાદ શહેરની સ્થાપના અંગે કેટલીક માન્યતાઓ ખૂબ જ પ્રચલિત છે. એવું કહેવાય છે કે 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહેમદ શાહ તેમના શિકારી કૂતરા સાથે અહીં આવ્યા ત્યારે અહીંના સસલાએ તેમના કૂતરાને ભગાડી દીધા હતા. ત્યાર પછી અહેમદ શાહને અહીં નવી રાજધાની સ્થાપવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરુ શેખ અહેમદ ખટ્ટુને અહીં શહેર સ્થાપવા માટે મંજૂરી માગી. ત્યારે તેમણે કહ્યું તમને ક્યારેય બપોરની નમાઝ ચૂક્યા ના હોય તેવા ચાર અહેમદ મળે તો તમે આ શહેરની સ્થાપના કરી શકશો. ત્યાર પછી અહેમદ શાહે ગુજરાતમાં તપાસ કરાવતા બે અહેમદ મળ્યા, ત્રીજા શેખ અહેમદ ખટ્ટુ અને ચોથા પોતે એમ ચાર અહેમદ અને 12 બાબાએ મળીને અમદાવાદની સ્થાપના કરી હોવાની માન્યતા છે.

અમદાવાદે આઝાદીના આંદોલનમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા

આઝાદીના આંદોલનમાં પણ અમદાવાદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  અંગ્રેજો વિરુદ્ધ મહાત્મા ગાંધીની ચળવળને કારણે આ શહેરમાં તમામ મોટા કાર્યક્રમો અને સંઘર્ષોની સાક્ષી બન્યું. ગાંધીજીએ સાબરમતી આશ્રમથી જ મીઠાના સત્યાગ્રહ માટેની ચળવળ શરૂ કરી. આ એ જ અમદાવાદ છે જ્યાં એક સમયે ગાંધીજીએ શપથ લીધી હતી કે, અંગ્રેજોને આ દેશમાંથી હટાવશે નહીં ત્યાં સુધી પાછા નહીં આવે. ત્યાર પછી ગાંધીજી અમદાવાદ પાછા આવી શક્યા નહોતા. સાબરમતી નદી પર ગાંધી બાપૂના સાબરમતી આશ્રમથી લઈને કોચરબ આશ્રમ હોવાના કારણે આ રસ્તો આશ્રમ રોડ તરીકે ઓળખાય છે.

સરખેજ રોજા

રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ

બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી, જોકે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાવાયેલા ડોઝિયરમાં આ શહેર આશા ભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા ‘રાજનગર’ તરીકેની ઓળખાણનો પણ ઉલ્લેખ કરાયો છે એટલે મ્યુનિ. હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી. યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી. તુર્કીના ઈસ્તંબૂલ જેવા પ્રાચીન શહેરનાં નામકરણ ઉદાહરણરૂપે છે.

 રાણીનો હજીરો

અહમદ શાહે બદલ્યું નામ

અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું. જ્યારે તેમણે રાજા કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું હતું. અહીં કેટલીય મસ્જિકો તે સમયની વાસ્તુકલાને દર્શાવે છે. જ્યારે મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટથી અલગ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા તો, 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની બની. ત્યાર બાદ નવા શહેરની ડિઝાઈન કરીને વસાવ્યા અને તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આજે પણ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક કેન્દ્ર માનવામાં આવે છે.

શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે

છેલ્લાં વીસથી વધુ વર્ષથી ભાજપના શાસનકાળમાં કર્ણાવતીનો મામલો ચર્ચાતો રહ્યો છે. ઠરાવ પણ સરકારી ફાઇલમાં ધૂળ ખાતો પડ્યો છે, જોકે હવે ‘મિમ’ના કારણે અમદાવાદના નામકરણનો વર્ષોજૂનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદશાહ બાદશાહની યાદમાં આજે પણ શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે છે.

#AHMEDABAD #WORLD-HERITAGE-CITY #BIRTHDAY

Next Post

કચ્છમાં લોકો શોધતા હતા સોનું ને મળ્યું પ્રાચીન નગર

Mon Feb 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામનાં લોકો સોનું મળવાની આશા અને લાલચે ગામની આસપાસ જ્યાં દેખાય ત્યાં ખાડા ખોદતા હતા. તેમને સોનું ભલે હાથ ન લાગ્યું હોય પરંતુ પ્રાચિન નગર ચોક્કસ હાથ લાગ્યું છે. માં 4500 વર્ષ જુના નગરના અવશેષો […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share